વૈજ્ઞાનિક પરિચય


વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા
[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.]
ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. વિક્રમભાઈમાં સંસ્થાઓના ઘડતર માટેની જરૂરિયાતો અને એમના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ આ બંને વચ્ચે ગજબનો મેળ હતો, જેણે એમને આપણા સમયના મહાન સંસ્થા ઘડવૈયા બનાવ્યા.
પહેલી સંસ્થા, જેને ઊભી કરવામાં ડૉ. વિક્રમભાઈએ મહત્વનો ભાગ ભજવ્યો, એ હતી અટીરા (Ahmedabad Textile Industry’s Research Association). કાપડ ઉદ્યોગની એ ચીલાચાલુ રસમોમાં એમણે વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી. પોતાની અંગત ઓળખાણો અને વ્યક્તિ સાથે આંતર-સંબંધોને કારણે મિલોમાં વર્ષોથી કામ કરતા લોકો અને નવાસવા વિજ્ઞાનીઓ વચ્ચે એ વિશ્વાસનો સેતુ બન્યા. અટીરાના નવા સંશોધકો અને અમદાવાદના મીલમાલિકોની નવી પેઢીને નવી ઓળખ આપી. એમણે જે અર્થપૂર્ણ પાઠ ભજવવાનો હતો એ માટેની પરિસ્થિતિ અને તકો ઊભી કરી અને આ બધું આપવાની સાથે એમણે પોતાને માટે આવડતો, ક્ષમતા અને સભરતા મેળવ્યા. અટીરાને ઊભી કરવામાં વિક્રમભાઈએ સંસ્થાઘડતરની તાલીમ લીધી. ભવિષ્યમાં બીજી સંસ્થાઓ ઊભી કરવામાં મદદ કરતી વખતે એમને આ સફળ અનુભવ ઘણો કામ આવ્યો.
જ્યારે અટીરાને ઊભી કરવાનું એમને શ્રી કસ્તુરભાઈ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે વિક્રમભાઈ 28 વર્ષના હતા. 1947માં એ કેમ્બ્રીજમાંથી કોસ્મિક રેયઝમાં ડોક્ટરેટની પદવી લઈને હજુ આવ્યા જ હતા. કાપડ ઉદ્યોગનો એને કશો અનુભવ ન હતો કે ના તો કોઈ તાલીમ લીધેલી. તેમ છતાં એમણે અટીરાના સંગઠન અને વહીવટની જવાબદારી ઉત્સાહ અને વિશ્વાસ સાથે લીધી. અટીરાની શરૂઆતમાં એમણે એવા લોકોને લીધા જેમની તાલીમ વૈજ્ઞાનિક પદ્ધતિ વિષેની હતી. એમનું માનવું હતું કે જો વૈજ્ઞાનિક પદ્ધતિઓ દાખલ કરવી હોય તો કાપડ ઉદ્યોગના અનુભવને બદલે શોધ પ્રક્રિયામાં તાલીમ લીધેલ વિજ્ઞાનીઓ વધુ ઝડપથી પ્રગતિ કરી શકશે. એમણે માન્યું કે કાપડ મીલની ટેકનોલોજી અને કાર્યને લગતો અનુભવ વૈજ્ઞાનિક રીતો અપનાવવા માટે પૂરતો નથી. એ વખતે પાછલો અનુભવ હોવા કરતાં વૈજ્ઞાનિક સૂઝ અને સમજની વધારે જરૂર હતી. આથી મોટા ભાગના મિલમાલિકોની સલાહને અવગણીને પણ એ પોતાના વિચારને વળગી રહ્યા. 1949 માં પહેલા ચાર જણાની નિમણૂંક કરી તે એક આંકડાશાસ્ત્રી, એક સમાજ મનોવિજ્ઞાની, ( આ લખનાર ડૉ. કમલા ચૌધરી પોતે) એક પોલિમર રસાયણશાસ્ત્રી અને એક પદાર્થ વિજ્ઞાની. આમાં પદાર્થવિજ્ઞાની સિવાય અન્યો પાસે ડોક્ટરેટની પદવી હતી પણ અનુભવ જરાય ન હતો. ઉપરાંત એ બધા 28 વર્ષથી ઓછી વયના હતા. વિક્રમભાઈની આંતરસૂઝ એવું કહેતી હતી કે ચીલાચાલુ જરૂરિયાતો અને જૂનો કાર્ય અનુભવ ઈચ્છિત પરિણામો નહીં આપી શકે. એ વખતનું અટીરાનું વાતાવરણ નવા નવા અખતરાઓથી, યુવાનીના જોશથી, સુધારાઓથી અને નવીનતાથી ધમધમતું. ત્રણ વર્ષમાં અટીરા કાપડ ઉદ્યોગના મહત્વના પ્રશ્નોમાં મહત્વનો પાઠ ભજવવા માંડેલું.
જ્યારે અટીરા ચાલુ થયું ત્યારે મોટા ભાગની મિલોમાં ગુણવત્તા નિયંત્રણની કોઈ પદ્ધતિ નહોતી. સૂતર અને રસાયણોના પરિક્ષણ માટે ગણીગાંઠી પ્રયોગશાળાઓ હતી અને તાલીમ આપવાના કાર્યક્રમો તો હતા જ નહીં. મેનેજરની જગ્યાએ મહદઅંશે મિલમાલિકનો કુટુંબી જ રહેતો. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રવેશ એટલે વૈજ્ઞાનિકો અને કાર્યકરો વચ્ચે, સંચાલન કરતા વિવિધ સ્તરો વચ્ચે અને પદાર્થ વિજ્ઞાની અને સામાજિક મનોવિજ્ઞાની વચ્ચે માહિતીની આપલેનો સેતુ બાંધવો. એમની વચ્ચે સંવાદ સાધવો. વિક્રમભાઈ વિવિધ જૂથો વચ્ચે સંવાદની કડી બનવામાં સફળ થયા કારણ કે અન્યની સાથે વાત કરતી વખતે વિક્રમભાઈ જરૂરી સન્માન જાળવતા અને પોતાની વિશ્વસનીયતા સ્થાપી શકતા. એ વખતે અરસપરસ કામ કરતા ત્રણ જૂથો હતા, જેમણે અટીરાના ઘડતર અને સામાજિક પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવ્યો. એક અટીરાનું સત્તામંડળ, જેમાં કસ્તૂરભાઈ લાલભાઈ, શાંતિસ્વરૂપ ભટ્ટનાગર (ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર), કે.એસ.ક્રિશ્નન (નેશનલ રિસર્ચ લેબોરેટરીના અધ્યક્ષ) અને વિક્રમભાઈ. બીજું જૂથ હતું પદાર્થ વિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીનું. ત્રીજું જૂથ હતું કાપડમીલના વિવિધ ખાતાઓના વડાઓનું (જે મીલમાલિકોના કુટુંબીઓ હતા) જેમણે અટીરાના વિજ્ઞાનીઓ જોડે માહિતીની આપ-લે કરવાની હતી. આ બધાની વચ્ચે કડી હતા વિક્રમભાઈ.
આમ વિક્રમભાઈ મિલમાલિકો વતી અટીરાના સત્તામંડળના સભ્ય, અટીરાની યુવાન વિજ્ઞાની ટોળીના સભ્ય અને કેલીકો મિલમાલિકની યુવાપેઢીના સભ્ય. આમ કુટુંબ, સામાજિક સંબંધો અને દેશના વૈજ્ઞાનિકોના જૂથમાં આગવી ઓળખ પામેલા વિક્રમભાઈ બધાને સહજ સ્વીકાર્ય બન્યા. આ ત્રણેય જૂથના લોકોએ સાથે મળીને ખોજ કરી, નવું નવું શીખ્યા અને નવા પ્રશ્નો અને પડકારોને ઓળખ્યા. આ પરિસ્થિતિમાં સંસ્થાકીય માળખું લચીલું હતું. વ્યક્તિની ક્ષમતા અને વિકાસની સાથે જરૂરી જવાબદારી મળી. આમાં વિશ્વાસનો ફાળો વધુ હતો. જુદા જુદા પ્રશ્નો માટે એમણે અલગ જૂથો બનાવ્યા જેમાં જુદી જુદી આવડતો અને અનુભવો હોય. આથી જ એમને અદ્દભુત પરિણામો મળ્યા. સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર અને અનુભવને આધારે જવાબદારીઓ સોંપાય પણ વિક્રમભાઈ માનતા કે નવી સંસ્થાઓ યુવા પેઢી દ્વારા ઊભી થશે. યુવાનોની શક્તિમાં, શક્યતાઓમાં વિક્રમભાઈને અપાર વિશ્વાસ હતો અને આથી એ નવી તકો અને સ્વતંત્રતા આપતા. વિક્રમભાઈ માનતા કે જો નવી સંસ્થા પાસેથી સામાજિક અને ટેકનોલોજીમાં પરિવર્તનની અને નવા કાર્યો શરૂ કરવાની અપેક્ષાઓ રાખતા હોઈએ તો આપણે સંસ્થાની અંદરની કે બહારની વ્યક્તિપ્રતિભાઓને ઓળખીને આગળ કરવી પડશે અને એની સંભાળ રાખવી પડશે.
અટીરાના વિકાસના બીજા વર્ષે જ્યારે વિજ્ઞાનીઓ અમુક બાબતોમાં આગ્રહ રાખવા માંડ્યા ત્યારે મિલમાલિકો તરફથી એ માટેની ફરિયાદો આવી. એ વખતે વિક્રમભાઈએ શંકા, શરમ કે અવિશ્વાસ જેવી લાગણીઓને વચ્ચે લાવ્યા વગર એ પ્રશ્નોને કુશળતાથી હલ કર્યા. ઘણા મિલમાલિકોને વિક્રમભાઈના વિચારો, કામ કરવાની પદ્ધતિ પસંદ નહોતા. પણ કસ્તુરભાઈ બધાની ઉપરવટ જઈને પણ વિક્રમભાઈને પોતાની રીતે કામ કરવાની, નવા અખતરા કરવાની છૂટ આપતા રહ્યા. આમ સત્તામંડળમાં કસ્તુરભાઈએ વડીલ તરીકે સંભાળ રાખી વિક્રમભાઈની ઊભરતી પ્રતિભાને ટેકો આપ્યો. એવી જ રીતે વિક્રમભાઈએ અટીરાના યુવા વિજ્ઞાનીઓની, મિલના યુવાન ઈજનેરો અને મેનેજરોની વડીલ તરીકે સંભાળ રાખી. ઘણી સમિતિઓ, ચર્ચાઓ અને ઔપચારિક-અનૌપચારિક કાર્યક્રમોમાં વિક્રમભાઈએ આ યુવાનોને સંરક્ષણ અને ટેકો આપ્યો. જેથી એ યુવાનો હિંમતથી પોતાના અવનવા તુક્કાઓ વિષે બેધડક બોલી શકે.
સંચાલનની ફિલસૂફી વિષે વિક્રમભાઈએ એક વખત મને કહ્યું હતું કે, ‘એરિક એરિક્સનનો ‘પારસ્પરિતા’ (mutuality)નો વિચાર મને બહુ મહત્વનો લાગે છે. આ પારસ્પરિતાની જરૂર માત્ર વિદેશી મદદ મેળવતી વખતે કે પરદેશની સંસ્થા સાથે જોડાણ કરતી વખતે જ માત્ર જરૂરી નથી પણ લોકો સાથેના વિવિધ સંબંધોમાં જરૂરી છે. એનાથી પરસ્પરની શક્તિઓ વધે છે.’ વિક્રમભાઈના અંગત કાર્યોમાં કે સંસ્થાકીય સંબંધોમાં વિશ્વાસની ગુણવત્તા પાયામાં હતી. અટીરાના વિકાસ દરમ્યાન કસ્તુરભાઈએ વિક્રમભાઈમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો, જેની સામે વિક્રમભાઈએ પૂર્ણ વિશ્વાસ અને સ્વતંત્રતા માત્ર વિજ્ઞાનીઓને જ નહીં પણ જુદા જુદા જૂથોના બધા લોકોને આપ્યા. આથી જ 1959માં ‘ટેક્સટાઈલ ટેકનીશીયન્સ એસોસીએશને’ તેમના પ્રમુખ બનવાનું વિક્રમભાઈને આમંત્રણ આપ્યું. અમદાવાદ કાપડ ઉદ્યોગના ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું કે ટેકનીશીયનો એક મિલમાલિકને પોતાનામાંના એક ગણી આવું આમંત્રણ આપે, એવો માણસ જેના શબ્દો પર, લાગણીઓ પર અને જેની માન્યતાઓ પર ટેકનીશીયનો વિશ્વાસ મૂકી શકે.
અટીરાની આડપેદાશ તરીકે વિક્રમભાઈએ બે નવી સંસ્થાઓ ઊભી કરી. મિલમાલિકોની યુવાપેઢી અને મેનેજરોની તાલીમ અર્થે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન અને શાળા કોલેજના શિક્ષકો-વિદ્યાર્થેઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે એ માટે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર.                


શ્રી હોમી ભાભા

[ આ લેખ  ‘ગુજરાતી પ્રતિભા પરિચય’  પરથી સાભાર લેવામાં આવેલ છે.

નામ            હોમી જહાંગીર ભાભા  
જન્મ            30- ઓક્ટોબર, 1909, મુંબાઇ
અવસાન      24 – જાન્યુઆરી, 1966, માઉન્ટ બ્લાન્ક , યુરોપ – વિમાની અકસ્માતમાં
કુટુમ્બ પિતા  જહાંગીર, માયસોરમાં શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર જનરલ
અભ્યાસ
· 1927- કેમ્બ્રીજ યુ.કે.માં મીકેનીકલ એંજિનીયરીંગ ભણવા ગયા
· 1935 - કેવેન્ડીશ લેબોરેટરીમાંથી પી.એચ.ડી.
· નોબલ ઇનામ વિજેતા પોલ ડીરાક સાથે કામ કર્યું હતું,  ભૌતિક શાસ્ત્રના માંધાતા જેવા વિજ્ઞાનીઓ ફર્મી, બોર્ હ , ફ્રેન્કના અંગત સંપર્કમાં
વ્યવસાય
· જાણીતા અણુ વિજ્ઞાની
· ભારત સરકારના અણુશક્તિ ખાતાના સેક્રેટરી

જીવન ઝરમર
· 1939 – ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ- બેન્ગ્લોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મીક કિરણોના સંશોધન માટેનું કેન્દ્ર સ્થાપ્યું
· 1945- જે. આર. ડી ટાટા ની દોરવણી હેઠળ મુંબાઇમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) ના ડિરેક્ટર ( હીરોશીમાના અણુ ધડાકાના ચાર જ મહીના બાદ)
· 1948 -  ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જવાહરલાલ  નહેરૂની પ્રેરણા અને મદદથી એટોમીક એનેર્જી કમીશન ઓફ ઇન્ડીયાની સ્થાપના
· 1954 – ભારત સરકારના એટોમીક એનેર્જી ડીપાર્ટમેન્ટના  સેક્રેટરી
· 1955- જીનીવા ખાતે એટોમિક એનેર્જીના શાંતિમય ઉપયોગો માટેની કોન્ફરંસ ના પ્રેસીડેન્ટ
· 1966 – માઉન્ટ બ્લાન્ક , આલ્પ્સ પાસે વિમાની હોનારતમાં અવસાન ( આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની દહેશત -  13 જ દિવસ પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી પણ ભેદી રીતે તાશ્કંદમાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા )
· ભારતના અનેક પ્રતિષ્ઠીત અણુ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા

સન્માન        તેમના સ્મારક તરીકે એટોમીક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ,  ટ્રોમ્બેનું નામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર રાખવામાં આવ્યું


નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની વેંકટરામન રામક્રિષ્ણન
        મિત્રો, આજે આપણે મળવાના છીએ વર્ષ ૨૦૦૯માં રસાયણશાસ્ત્રના વિષયમાં નોબેલ પારિતોષિક મેળવનારા વિજ્ઞાની વેંકટરામન રામક્રિષ્ણનને. તેમને વેન્કીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે. વેન્કીનો જન્મ ૧૯૫૨માં તમિલનાડુના ચિદમ્બરમ્ ખાતે થયો હતો. તેમના પિતા સી.વી.રામક્રિષ્ણન અને માતા રાજલક્ષ્મી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિર્વિસટી ખાતે જીવરસાયણ વિષય ભણાવતાં હતાં. એટલે વેન્કીને વિજ્ઞાનના વિષયમાં રુચિ અને વિજ્ઞાની બનવાનું સપનું વારસામાં મળ્યું હતું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં મેળવનારા વેન્કી વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ૧૯૭૧માં ભૌતિકશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ઉપાધિ મેળવનારા વેન્કીએ અમેરિકાની ઓહાયો યુનિર્વિસટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. ૧૯૮૩ના ગાળાથી વેન્કીએ માનવશરીરની જૈવ પ્રણાલીસમા રિબોઝોમ પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી. રિબોઝોમના બંધારણ અને કાર્ય પર કરેલા સંશોધનને કારણે તેમને ૨૦૦૯માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૦માં ભારતના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા.
ભારતમાં સંદેશાવ્યવહારમાં ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા

          મિત્રો, ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઈલીનોસિસ યુનિર્વિસટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.
૧૯૮૪માં રાજીવ ગાંધીની સાથે મળીને ભારતને ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રમાં વેગવંતું બનાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના પ્રયત્નોના પરિણામે આજે ભારતનાં મોટાભાગનાં મહાનગરો અને નગરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દૂરસંચારની વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત થાય છે. તેઓ નેશનલ નોલેજ કમિશનના સભ્ય છે. આ કમિશન ભારતમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે કાર્ય કરે છે. ગયા મે મહિનામાં પિત્રોડાને ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઈન્ફર્મેશન સોસાયટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ૨૦૦૯માં પદ્મ ભૂષણ એવોર્ડ, એ જ વર્ષે રાજીવ ગાંધી ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  


ગેલેલિયો ગેલિલી
         ગેલેલિયો ગેલિલી (૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪ – ૮ જાન્યુઆરી ૧૬૪૨), જે ગેલેલિયો ના નામેજાણીતોછે, એ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિમાં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરીકોપરનિકનીઝમ ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી", "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ", "ફાધર ઓફ સાયન્સ" અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ" કહેવાય છે. સ્ટીફન હોકિંગના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે."


તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં  શુક્ર ની કળાઓની પુષ્ટિ,  ગુરુ ના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.


તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્યકેંદ્રીવાદ (heliocentrism) ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. સ્ટેલર પેરેલાક્ષના પ્રત્યક્ષ પુરાવાના અભાવે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીકેન્દ્રીવાદ (geocentrism)માં માનતા હતા,તેઓએ પણ ગેલેલિયોનો વિરોધ કર્યો. આ મામલાની તપાસ ૧૬૧૫ માં રોમન ઇંકવીઝીશન દ્વારા કરવામાં આવી, તેઓએ તારણ આપ્યું કે સૂર્યકેંદ્રીવાદ એક શક્યતા છે ખરી પણ તે માન્ય સિદ્ધાંત નથી.ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ (Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું , તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ (Two New Sciences)"ની રચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો.


મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય
આપણા દેશમાં એક મહાન ગણિતજ્ઞ થઇ ગયા. એમણે જે શોધો કરી છે તે ખરેખર મહાન છે. આ ગણિતજ્ઞનું નામ ભાસ્કરાચાર્ય. એમનો જન્મ ઇ.સ. ૧૧૧૪માં મહારાષ્ટ્રના જલગાંવ પાસેના નાનકડા ગામમાં થયો હતો. ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતરત્ન હતા. એમણે રચેલા ગ્રંથનું નામ છે. ‘સિદ્ધાંત શિરોમણિ’. આ ગ્રંથમાં ગ્રહોની સ્થિતિ તેમજ સૂર્ય અને ચંદ્રગ્રહણની સમય ગણતરી કરવાની થિયરીનો સમાવેશ થયેલો છે. ખગોળશાસ્ત્રમાં ઉપયોગી થાય એવા સાધનોની ટેક્નિકલ માહિતીનો પણ આ ગ્રંથમાં ઉલ્લેખ છે. આ ગ્રંથમાં ચાર ખંડ છે. પહેલા ખંડને ભાસ્કરાચાર્ય ‘લીલાવતી’ કહે છે. લીલાવતી એમની પુત્રી હતી. એના ઉપરથી આ નામ રાખ્યું હતું. આ ગ્રંથમાં ૨૭૮ પદ્ય છે. ‘લીલાવતી’ની શરૂઆતમાં વિવિધ પરિણામોના કેટલાક કોઠાઓ આપવામાં આવ્યા છે. ઉપરાંત પરાર્ધ સુધીની સંખ્યાઓના નામ આપવામાં આવ્યા છે. પૂણાઁકોનો યોગ, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે છે. જુદા જુદા પ્રકારનાં ક્ષેત્રફળો, ઘનફળ વગેરે વિષયો તેમજ ગણિત સંબંધી વાતો પણ છે. ભાસ્કરાચાર્ય ગણિતશાસ્ત્રી અને જ્યોતિષી તો હતા જ. ઉપરાંત ઉચ્ચ કોટિના કવિ પણ હતા. એમની કવિતાઓમાં ઋતુના વર્ણનમાં ચમક અને શ્લેષની સુંદર બહાર જોવા મળે છે.ભાસ્કરાચાર્યનો બીજો ગ્રંથ છે ‘કરણ કુતૂહલ’. આ ગ્રંથ જ્યોતિષને લગતો છે. ૬૯ વર્ષની ઉંમરે ભાસ્કરાચાર્યે આ ગ્રંથની રચના કરી હતી. આથી એમ કહી શકાય કે ઘડપણમાં પણ તેઓ ઉત્સાહી અને બુદ્ધિશક્તિવાળા હતા. આ ગ્રંથની રચના ઇ.સ.૧૧૮૩માં કરવામાં આવી હતી. આવા હતા આપણા મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય!

No comments:

Post a Comment